અમદાવાદ શહેરના N ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ ભાવનગરના યુવક હિતેશ આલે કરેલા આપઘાતના કેસમાં નવા ખુલાસા થયા છે. કોન્સ્ટેબલ હિતેશ આલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હવે એસજી-2માં ફરજ બજાવતી રીંકલ નામની પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. રીંકલે હિતેશને ધમકી આપી માર મારી ટોર્ચર કર્યું હતું, જેનાથી કંટાળી હિતેશે આપઘાત કર્યો હતો. વેજલપુર પોલીસે ગુનો નોંધી રીંકલની ધરપકડ કરી છે.
મૃતક કોન્સ્ટેબલ હિતેશ આલના મોટાભાઈ હરેશભાઈ નાજાભાઇ આલે પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ હિતેશ 2017માં પોલીસ નોકરીમાં લાગ્યો હતો. આ દરમિયાન એસજી-2માં ફરજ બજાવતી રીંકલ અમરતભાઈ નામની મહિલા પોલીસકર્મી સાથે ત્રણ વર્ષથી સંપર્કમાં હતો. હિતેશે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવની જાણ મોટાભાઈને કરી હતી, પણ રિંકલનું અન્ય કોઈ સાથે પણ અફેર ચાલતું હોવાની જાણ થતા હિતેશના મોટાભાઈએ બંનેના લગ્નની ના કહી દીધી હતી. બાદમાં 7-2-2023ના રોજ હિતેશના લગ્ન તેના સમાજના રીતરિવાજ મુજબ અન્ય યુવતી સાથે કરવામાં આવ્યા હતા. હિતેશ અમદાવાદમાં એકલો રહેતો હતો, પણ પત્નીને સાથે લાવ્યો ન હતો. આ બાબતે તેના મોટા ભાઈએ કહેતા હિતેશે કહેલું કે રિંકલ હજી પણ તેને હેરાન કરે છે અને કહે છે કે જો તે પત્નીને સાથે લાવશે તો રિંકલ ઘરે આવીને હોબાળો કરશે અને આબરૂના ધજાગરા કરશે.
રિંકલ લગ્ન બાદ પણ આવનાવાર હિતેશને હેરાન કરતી એ તેને ગમતી વસ્તુઓ હિતેશના ખર્ચે ખરીદતી, જેના માટે અનેક વાર હિતેશને QR કોડ મોકલી પેમેન્ટ કરાવતી હતી અને વારંવાર પૈસાની માંગણી કરતી હતી. જયારે હિતેશે તેના મોટાભાઈને આ વાત કહી ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ હિતેશની બદલી કરાવી નાખશે, પછી રિંકલ હેરાન નહીં કરે. હિતેશ તેની પત્નીને સાથે અમદાવાદ રહેવા લાવ્યો હતો. હિતેશે રિંકલનો નંબર બ્લોક કર્યો હતો, જેથી પ્રહલાદનગર પાસે આવી રિંકલે તેને લાફા મારી હિતેશની પત્નીને ફોન કરીને કહ્યું હતું કે હિતેશને કહે કે દસ હજાર રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કરી દે. રિંકલે હિતેશનો એક એપલનો ફોન લઇ લીધો હતો, અને બીજો વનપ્લસનો ફોન તોડી નાખ્યો હતો. આ તમામ બાબતની જાણ હિતેશે તેના મોટાભાઈને કરી હતી.
દરમિયાન કોઈ મરણ પ્રસંગે હિતેશની પત્ની ભાવનગર જતા હિતેશે છેલ્લી વાર તેના મોટાભાઈ સાથે વાત કરી હતી કે રિંકલ મને શાંતિથી જીવવા નથી દેતી. હિતેશે તેના મિત્ર રોનકને જન્મદિવસની શુભેચ્છા આપવા ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ મારો છેલ્લો ફોન છે, હું તમારા બધાથી દૂર જઈ રહ્યો છું. ત્યારબાદ ગત તારીખ 8-10-2023ના રોજ હિતેશે અમદવાદના તેના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હિતેશના મોટાભાઈને આ ઘટનાની જાણ થતા તેઓ અમદાવાદ આવ્યાં હતા, જ્યા હિતેશના મિત્રો આકાશ અને રોનક દ્વારા પણ જાણવા મળ્યું હતું કે રિંકલ હિતેશને ખુબ હેરાન કરતી હતી, વારે વારે હિતેશના કામના સ્થળે આવીને ઝઘડા કરતી હતી. વારે વારે હિતેશ પાસેથી પૈસા પડાવતી હતી અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. આ સમગ્ર મામલે હિતેશના મોટાભાઈના નિવેદનના આધારે વેજલપુર પોલીસે રિંકલ અમરતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.