રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બપોરે 12 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ કાળ શરૂ થશે અને બપોરે 12.45 વાગ્યાથી એક વાગ્યા વચ્ચે રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ જશે. સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે આધાર કાર્ડ લાવવા જરૂરી રહેશે. ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કારસેવકપુરમ સ્થિત ભારતકુટી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી.
વડાપ્રધાનને મળ્યા બાદ અયોધ્યા પહોંચેલા ચંપત રાયે કહ્યું કે કાર્યક્રમ દરમિયાન આવનાર મહેમાનોએ તેમનો પ્રોટોકોલ છોડવો પડશે. મુલાકાતે આવનાર ઋષિ-મુનિઓ તેમની સાથે કમંડલ, ચરણ પાદુકા, છત્ર પણ લઈ શકશે નહીં. આ સમારોહમાં દેશની વિવિધ પૂજા પદ્ધતિઓ અને 140 પરંપરાઓના લગભગ 4000 ઋષિ-મુનિઓને આમંત્રિત કરવામાં આવશે. અન્ય 2500 જેટલા લોકોને પણ આમંત્રણ મોકલવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસની બેઠક 5થી 7 નવેમ્બર સુધી ભૂજમાં યોજાશે જેમાં અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સંબંધિત કાર્યક્રમો સહિત અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. RSSની અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર તરફથી જાહેર એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.આ બેઠકમાં કુલ 45 પ્રાંતના પ્રાંત સંઘચાલક, કાર્યવાહકો અને પ્રાંતીય પ્રચારકો અને તેમના સહ-સંઘચાલકો, સહકાર્યકરો વગેરે ભાગ લેશે.