મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય સ્વાગતમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકો પોતાની રજુઆતો ઘેર બેઠા કરી શકે તે માટે જિલ્લા સ્વાગતનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
સામાન્ય રીતે તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજૂ કરતા હોય છે. હાલના ઇન્ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં નાગરિકો કચેરીમાં રૂબરૂ ગયા વગર, ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજૂઆતો/ફરિયાદો/પ્રશ્નોને રજુ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં તાલુકા સ્વાગતમાં ઓનલાઈન માધ્યમથી પોતાની ફરિયાદો-પ્રશ્નો રજૂ કરવાની પધ્ધતિ હાલ સફળતા પૂર્વક કાર્યરત છે.
તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજુઆતની આ પધ્ધતિને લોકોના મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે મુખ્યમંત્રીએ જિલ્લા સ્વાગતમાં પણ ઓનલાઈન માધ્યમથી લોકો પોતાની રજૂઆતો / ફરિયાદો / પ્રશ્નો રજૂ કરી શકે તે હેતુથી જિલ્લા સ્વાગતનાં ઓનલાઈન રજુઆત માટેનાં પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો છે. આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું તે અવસરે મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં શહેરી વિકાસ, પંચાયત, શિક્ષણ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, મહેસૂલ, તથા નર્મદા અને જળ સંપત્તિ વિભાગને સ્પર્શતી લોકોની રજુઆતો મુખ્યમંત્રીએ સાંભળી હતી અને સંબંધીત સચિવઓ અને જિલ્લા કલેક્ટરશ્રીઓને રજુઆતોનાં નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆત માટે મુખ્યમંત્રીએ લોન્ચ કરેલા આ પ્લેટફોર્મનાં માધ્યમથી હવે નાગરિકો તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં પોતાની રજૂઆતો/ફરિયાદો/પ્રશ્નો, પુરતી માહિતી અને પુરાવા સાથેની અરજી દર અંગ્રેજી માસની ૦૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઈન માધ્યમથી રજૂ કરી શકશે.આ હેતુસર નાગરિકો જિલ્લા સ્વાગતમાં https://swagat.gujarat.gov.in/Citizen_Entry_DS.aspx?frm=ws પર પોતાની રજુઆતો ઓનલાઇન મોકલી શકશે.