શ્રાવણ મહિનામાં ટામેટાના ભાવે લોકોને ફરજિયાત ઉપવાસ પર ઉતારતા શ્રાવણ મહિનો કરાવ્યો હતો. હવે તહેવારોના સમયે ડુંગળીના ભાવે જાણે લોકોને રડાવવાનું નક્કી જ કરી લીધું છે. દિલ્હી એનસીઆરમાં એક જ અઠવાડિયામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. આ સિવાય બેંગ્લુરુ, પંજાબ, મુંબઈ અને દેશના અન્ય વિસ્તારોમાં ડુંગળીના ભાવ 100 રૂપિયાની નજીકના સ્તરે પહોંચી ગયા છે.
અહેવાલ અનુસાર ડુંગળીના ભાવ નવેમ્બરના અંત સુધીમાં દોઢસો રૂપિયે પહોંચી જઈ શકે છે. આમ તેનો ભાવ હજી પણ ઉછળી શકે છે. રવિવારે બેંગ્લુરુમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 70 રૂપિયા હતો અને તે એક અઠવાડિયા પહેલા 50 રૂપિયા હતો. છૂટક કિંમત 39 રૂપિયાથી વદીને પ્રતિ કિલો 80 રૂપિયા થઈ ગઈ છે. હાલમાં ડુંગળીની આવકનું જે સ્તર છે તે જળવાઈ રહે અને તેમા કોઈ વધારો ન થયો તો નવેમ્બરના અંત સુધીમાં ડુંગળીના ભાવ 150 રૂપિયે કિલો સુધી પહોંચી જાય તો કોઈને આશ્ચર્ય નહીં થાય.
હાલમાં ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ સ્થાનિક સ્તરે ખેડૂતો પાસેથી ડુંગળીનો પુરવઠો ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. હુબલીમાં એક જ સપ્તાહમાં ડુંગળીની કિમત 2,500થી 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને છ હજારથી સાડા છ હજાર રૂપિયા થઈ ગઈ છે. આ જ રીતે છૂટક બજારમાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો 30થી 35 રૂપિયા વધીને 75થી 80 રૂપિયા થઈ ગઈ છે. ડુંગળીના ભાવમાં આ વધારો ફક્ત એક જ સપ્તાહમાં થયો છે. ડુંગળીના ભાવમાં ઝડપી વધારાના પગલે સરકાર પણ ચોંકી ગઈ છે. સરકારે ડુંગળીના ભાવની કિંમતો ઘટાડવા માટે નક્કર પગલાં લેવા માંડ્યા છે. શનિવારે ડુંગળીની નિકાસ પર ડ્યુટી જાહેર કરવામાં આવી હતી. હવે ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પરની કસ્ટમ્સ ડ્યુટી પ્રતિ કિલો 60 રૂપિયા હશે, જે પહેલા પ્રતિ કિલો 40 રૂપિયા હતા. નિકાસ પરની ડ્યુટી વધારવાના પગલે વધુને વધુ ડુંગળી સ્થાનિક બજારમાં પહોંચશે.
ડુંગળીના ભાવમાં વધારાને લઈને નિરીક્ષકોનું કહેવું છે કે બજારમાં ઉપલબ્ધ ડુંગળીના છેલ્લા જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હોવાથી તેનો પુરવઠો ઝડપથી ઘટી રહ્યો છે. આના પગલે ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે અને અસરકારક પગલાં નહીં લે તો તેના ભાવને પ્રતિ કિલો 150 રૂપિયા પહોંચતા કોઈ નહી રોકી શકે.