મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૩૧માં મનભાવન યુવક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આવતીકાલે તા.૨ નવેમ્બરથી ભવ્ય કલાયાત્રા સાથે પ્રારંભ થશે. આ યુવક મહોત્સવમાં વિવિધ ૩૧ સ્પર્ધામાં કુલ ૧૧૬૧ વિધ્યાર્થી ભાઇઓ બહેનો ભાગ લેશે.
યુનિવર્સિટીના આ “મનભાવન’ યુવક મહોત્સવ-૨૦૨૩ની એક ખાસ વિશિષ્ટ બાબત એ રહેલી છે કે આ યુવક મહોત્સવ મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી “નારી શક્તિ વંદના” તરીકે આયોજિત થનાર છે. યુવક મહોત્સવના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણને વેગ આપવા વિવિધ ક્ષેત્રોમાં ગૌરવપૂર્ણ કામ કરનાર લગભગ ૩૨ મહિલાઓનું અલગ અલગ રંગ મંચ પર વિવિધ સ્પર્ધાઓ દરમિયાન સન્માન કરવામાં આવશે.
યુવક મહોત્સવના પ્રારંભે આવતીકાલે ગુરૂવારે કાર્યકારી કુલપતિ ડોક્ટર મહેશભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં શામળદાસ કોલેજ ખાતેથી બપોરે ૩ઃ૩૦ કલાકે ભવ્ય કલાયાત્રા નીકળશે
આ કલાયાત્રાને પ્રસ્થાન કરાવવા મેયર ભરતભાઈ બારડ, નાયબ કમિશ્નર મનીષાબહેન બ્રહ્મભટ્ટ, નાયબ પોલીસ અધિક્ષક મનીષાબહેન દેસાઈ, તથા યુનિવર્સિટી એકિઝક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડા. ગિરીશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ કલાયાત્રામાં વિવિધ ૧૨ સંસ્થા/કોલેજોના અંદાજિત ૪૯૩ લોકો ભાગ લેશે.
યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ કા.કુલપતિ ડા. મહેશભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં સવારે ૯ઃ૩૦ કલાકે યુનિવર્સિટીના સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસ ખાતે થશે, જેમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ ડા. ભારતીબહેન શિયાળ ઉપસ્થિત રહેશે, ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ સહિત ઉપસ્થિત રહેશે.
૩૧માં આંતર કોલેજ યુવક મહોત્સવ ૨૦૨૩માં અંદાજીત ૬૦ કોલેજના કુલ ૧૧૬૧ વિદ્યાર્થી કલાકાર (ભાઈઓ- બહેનો) ભાગ લેનાર છે. યુવક મહોત્સવમાં નૃત્ય સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવા ડોક્ટરોની ટીમ યુનિવર્સિટી દ્વારા ઉપસ્થિત રાખવામાં આવશે.