સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બન્યું હતું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા , મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા ૪ કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધિ થઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવે સંસ્થા વતી શબ્દપુષ્પોથી સ્વાગત કર્યું. ત્યારબાદ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગૌરવાસ્પદ પ્રસંગ ઉજવાયો હતો.
ગુજરાતના એકમાત્ર સુવર્ણ મંદિર વડતાલધામમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ – શ્રી હરિકૃષ્ણ મહારાજના મંદિરની , ભારત સરકારે પ્રકાશિત કરેલ “ સ્પેશ્યલ પોસ્ટલ સ્ટેમ્પ” તથા “સ્પેશ્યલ કવર” નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે તે જીવનભર યાદ રહેતી હોય છે. મારા જીવનની આ અદ્ભુત ક્ષણ છે, જે મારા વિભાગ તરફથી વડતાલ મંદિરની ટિકીટ તથા સ્પેશ્યલ કવર અનાવરણ કરવાની તક મળી તે મારા અહોભાગ્ય છે. ર૦ર૪ માં ઉજવાનારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટિકીટ તથા સ્પેશ્યલ કવર આવનારી પેઢીઓ સુધી રહેવાની છે. વડતાલધામ મંદિરના ખાતમૂર્હતથી લઈ મંદિરમાં દેવોની પ્રતિષ્ઠા ભગવાન શ્રીહરિએ કરી તેના અદ્ભુત ઈતિહાસ વર્તમાનનાં સાક્ષી આપણે સૌ બન્યા છીએ.