ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયા છે. આ પાંચ લોકોના મોત પાછળ લઠ્ઠાકાંડ હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે.
મળતી માહિતી મુજબ નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા, જયારે મહુધા તાલુકાના બગડુ ગામે 2 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. એક મૃતકના પરિવારે જણાવ્યું કે તેમના સ્વજન ઘરે આવ્યાં ત્યારે માથામાં દુખાવો થયો અને પરસેવો આવી ગયો અને ત્યારબાદ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં હતા. દવાખાને લઇ જતા ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
નડિયાદના બીલોદરા અને મહુધાના બગડુ ગામે પાંચ લોકોના મોત બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે. લોકો આ ઘટનાને લઠ્ઠાકાંડ સાથે સાંકળી રહ્યા છે. જો કે પોલીસ સહિત તંત્રના હાથે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે.જેથી આ બાબત કેટલી સત્યતા છે તે તો તપાસનો વિષય છે. પાંચ લોકોના મોત બાદ હજી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.