મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ હથિયાર ધારણ કરી પાડોશમાં રહેતા બે ભાઈઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર યુવાન કિરણભાઈ અરવિંદભાઈ ગુજરીયા અને તેમના પત્ની ગઈકાલે રાત્રે તેમના ઘર બહાર ઉભા રહી ત્યાંથી પસાર થઈ રહેલી લગ્નની જાન જોતા હતા તે દરમિયાન બાજુમાં રહેતો શનિ ધર્મેશભાઈ બારૈયા એ કિરણભાઈના પત્નીને ગાળો આપતા તેને અપશબ્દો કહેવાની ના પાડતા શનિ એના ઘરે દોડી ગયો હતો અને તેના પિતા ધર્મેશભાઈ ઉર્ફે ધમાભાઈ તેમજ ભાઈ રાહુલને બોલાવી ત્રણેય ઈસમોએ હાથમાં તલવાર, દાતરડું અને ધારદાર લાકડા જેવું હથિયાર ધારણ કરી કિરણભાઈ તથા તેના ભાઈ હિતેશભાઈને ગાળો આપી માર મારી ઝઘડો કર્યો હતો. દરમિયાન લોકો એકઠા થઈ જતા કિરણભાઈ અને હિતેશભાઈ તેમના ઘરની અંદર જતા હતા ત્યારે શનિએ તેના હાથમાં રહેલ ધારદાર લાકડા વડે હિતેશભાઈના મોઢાના ભાગે ફટકો મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કિરણભાઈ અરવિંદભાઈ ગુજરીયા એ તેમના પાડોશમાં રહેતા શનિ ધર્મેશભાઈ બારૈયા, રાહુલ ધર્મેશભાઈ બારૈયા અને ધર્મેશભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.