અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેનો મહત્વનો ચુકાદો આપ્યા બાદ સુપ્રીમકોર્ટે આજે જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડતી કલમ 370 દુર કરવાનો રાષ્ટ્રપતિને અધિકાર હોવાનું જણાવીને તેને પડકારતી 18 જેટલી રીટ અરજીઓ ફગાવી હતી.
સર્વોચ્ચ અદાલતે આ મુદાઓ પર ત્રણ મહત્વપૂર્ણ મુદાઓ આપ્યા છે. જેમાં સૌપ્રથમ જણાવ્યું હતું કે બંધારણ સભાની સમાપ્તી બાદ તમામ અધિકાર રાષ્ટ્રપતિ પાસે આવી જાય છે અને તા.5 ઓગષ્ટ 2019ના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાના રાષ્ટ્રપતિનું જાહેરનામુ યોગ્ય છે અને તેને પડકારી શકાય નહી.
સર્વોચ્ચ અદાલતે આ સાથે એ પણ જણાવ્યું હતું કે ભારત સાથે જોડાણની સાથે જ જમ્મુ-કાશ્મીરનું સાર્વભૌમત્વનો અંત આવી ગયો હતો. આ ઉપરાંત ત્રીજા મહત્વપૂર્ણ ચૂકાદામાં સુપ્રીમકોર્ટે એ પણ જણાવ્યું હતું કે કલમ 370ની નાબુદી સાથે જ જમ્મુ-કાશ્મીરમાં દેશની તમામ બંધારણીય જોગવાઈઓ પણ અમલી બની જાય છે.
આજે આ ચૂકાદા પુર્વે જમ્મુ-કાશ્મીરમાં રેડએલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ હતી તથા પીડીપીના નેતાઓ સહિત રાજયના અનેક નેતાઓને પણ નજરકેદ કર્યા હતા તથા રાજયમાં ઈન્ટરનેટ સહિતની સેવાઓ પણ ગમે તે ઘડીએ બંધ કરાઈ તે માટે ટેલીકોમ વિભાગને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો હતો તેમજ સોશ્યલ મીડીયામાં ભડકાઉ પોષ્ટ કરનાર પાંચ લોકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરને કલમ 370 હેઠળ જે ખાસ અધિકારો પ્રાપ્ત થયા હતા તેનો અંત આ કલમની નાબુદી સાથે જ લાવ્યો હતો. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે બે અલગ રીતે ચુકાદા આપ્યા હતા. જેમાં કલમ 370ની નાબુદીના નિર્ણયને તમામ જજોએ યોગ્ય ગણાવ્યો હતો. કહ્યું હતું કે આ કલમ અસ્થાયી છે તે ચોકકસ સમયગાળા માટે લાવવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતે એ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારના દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહી. જો કેન્દ્રના નિર્ણયથી કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી થઈ હોય તો જ તેને પડકારી શકાય. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સાથે જ મોદી સરકારને વધુ એક કાનુની સફળતા મળી છે અને જમ્મુ-કાશ્મીરમાં હવે આગામી સમયમાં ચુંટણી યોજવા સહિતનો માર્ગ પણ ખુલ્લો થઈ ગયો છે.