સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)થી નિકારાગુઆ જઇ રહેલ એક વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું છે. આ વિમાનમાં 303 ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. આ સમાચાર મળતાં જ પેરીસથી લઇને દિલ્હી સુધી હોબાળો મચી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ વિમાનને માનવ તસ્કરીની શંકા હેઠળ ફ્રાન્સમાં ઉતારવામાં આવ્યું છે. ફ્રાન્સમાં રહેલ ઇન્ડિયન એમ્બેસીએ મુસાફરોનો સંપર્ક થઇ શકે તે માટે કાઉન્સીલર એક્સેસ મેળવી લીધુ છે. તેઓ પરિસ્થિતીની જાણકારી મેળવી રહ્યાં છે. ભારતીય મુસાફરોને કોઇ તકલીફ તો નથી થઇ રહી ને તેની ખાતરી કરવાનો પ્રયાસ પણ ઇન્ડિયન એમ્બેસી દ્વારા થઇ રહ્યો છે.
એક વિદેશી મીડીયા રિપોર્ટ અનુસાર નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન બ્યુરોએ આખી ઘટનાની તપાસ હાથ ધરી છે. પેરીસ પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ તપાસ અધિકારી વિમાનમાં સવાર તમામ મુસાફરોની પૂછ પરછ કરી રહ્યાં છે. જેમાંથી બે શંકાસ્પદ લોકોની વધુ તપાસ માટે અટક કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોમાનિયા કંપનીના લીજેંડ એરલાઇન્સનું એ-304 વિમાન ગુરુવારે લેન્ડ થયા બાદ વૈટ્રી એરપોર્ટ પર ઊભુ હતું. પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં આવેલ વૈટ્રી એરપોર્ટ પરથી મોટા ભાગે કમર્શીયલ એરક્રાફ્ટનું સંચાલન થાય છે.