શહેરના તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટથી પાણી સપ્લાય માટે પ્રભુદાસ તળાવ ઈએસઆર ટાંકી તરફ જતી મેઈન લાઈનના એર વાલ્વમાં આજે બપોરના સમયે ખોટકો સર્જાતા કાળુભા રોડ પર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. આ અંગેની જાણ થતા વોટર વર્કસ અધિકારીએ તાકિદે દોડી જઈ પાણી સપ્લાય બંધ કરાવી સમારકામ શરૂ કરાવ્યું છે.



ભાવનગર શહેરમાં પાણી પુરૂ પાડતા તખ્તેશ્વર ફિલ્ટરમાંથી આજે પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રભુદાસ તળાવ ઈએસઆર ટાંકી તરફ જતી પાણીની મેઈન લાઈનમાં પણ પાણી શરૂ કરવામાં આવ્યુ હતું. આ લાઈનમાં ઘરશાળાની પાછળના ભાગે આવેલ એર વાલ્વમાં ખોટકો સર્જાતા ફુવારા સાથે પાણી છુટ્યા હતા અને રસ્તા પર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. અને જાત જાતામાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ અંગેની જાણ વોટર વર્કસ વિભાગને કરાતા અધિકારી દેવમુરારી સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલીકના ધોરણે પાણી પુરવઠો બંધ કરાવી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.





