ભાવનગરના નવાપરા વિસ્તારમાં આજે એસ્ટેટ વિભાગની સુચના તળે દબાણ હટાવ સેલે ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યુ હતું. જેમાં ઘરની બહાર ગેરકાયદે રીતે રસ્તો દબાવી કરવામાં આવેલા ઓટલા, બાથરૂમ દિવાલ સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવાતા વિરોધના ભાગરૂપે લોકોના ટોળા એકઠા થયા હતા. જા કે મ્યુ. કાફલાએ ટોળાશાહીને ગણકાર્યા વગર ઓપરેશન દબાણ હટાવ શરૂ રાખ્યુ હતું.
નવાપરા વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં તેમજ તેની પાછળના વિભાગમાં શેરીમાં ચાલવા નડતર રૂપ બને તે રીતે જુદા જુદા આસામીઓએ ગેરકાયદે રીતે ઓટલા, બાથરૂમ અને દિવાલ ચણી લેતા સ્થાનિકોની ફરિયાદ બાદ એસ્ટેટ વિભાગે દબાણ હટાવ સેલને આપેલી સુચના મુજબ આજે ડિમોલિશન હાથ ધરાયુ હતું. ૪૧ જેટલા ઓટલા, ૧ બાથરૂમ અને બે દિવાલ પર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. કોર્પોરેશનની કડક કાર્યવાહીના પગલે દબાણકર્તા તત્વોએ ટોળાશાહી કરી તંત્ર પર પ્રેશર લાવવા નાકામ પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત રસ્તામાં નડતર રૂપ બને તે રીતે મુકવામાં આવેલ ૪ ભંગાર સાઈકલ, જપ્ત કરી હતી જ્યારે ત્રણ બાઈકને લોક કરાઈ હતી. જેનો રૂપિયા ૩૦૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. તો એક કેબીન અને બે લારી પણ સ્થળપરથી જપ્ત કરાઈ હતી.