રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ-કોલેજની વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી. બસમાં ફ્રી પાસની યોજના કાઢી શિક્ષણને પ્રોત્સાહન માટે પ્રયાસો કર્યાં છે. બીજી બાજુ એસ.ટી.ની બસો ઉભી નહીં રહેતા વિદ્યાર્થીનીઓ સમયસર શાળા-કોલેજ પહોંચી શકતી નથી. આવા જ એક પ્રશ્નને લઇને હાજીપર ગામ પાસે વિદ્યાર્થીનીઓએ વિરાંગના બનીને એસ.ટી. રોકો આંદોલન છેડતા તંત્ર દોડતું થઇ ગયું હતું અને સત્વરે ઘટતું કરવા ખાતરી પણ ઉચ્ચારી હતી.
તળાજા-મહુવા હાઇવે પર આવેલ હાજીપર ગામના પાટીયે ઘણા સમયથી એસ.ટી.ના ડ્રાઇવર-કંડક્ટરો દ્વારા બસ ઉભી નહીં રાખી મનસ્વી વલણ અપનાવાતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઇ હતી અને સાત જેટલી વિદ્યાર્થીનીઓએ એસ.ટી. તંત્રને પાઠ ભણાવવા માટે થઇને સોમવારે હાઇવે પર એસ.ટી. બસ આડે ઉભા રહી જઇ બસ રોકો આંદોલન છેડ્યું હતું. આંદોલનના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને એસ.ટી. ડ્રાઇવર-કંડક્ટરોની મનમાની સામે સૌએ રોષ ઠાલવ્યો હતો. અસલ મિજાજમાં આવી ગયેલ વિદ્યાર્થીનીઓએ એક પછી એક એસ.ટી. બસો અટકાવવાનું શરૂ કરતા આખરે તળાજાથી એસ.ટી.ના એટીઆઇ દોડી ગયા હતા અને વિદ્યાર્થીનીઓ સાથે મસલત કરી તેમના પ્રશ્નના ઉકેલ માટે ખાતરી આપી હતી. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, લોકલ બસો શાળાના સમયે ઓછી નીકળે છે જ્યારે એક્સપ્રેસ બસના ડ્રાઇવર-કંડક્ટરો વિદ્યાર્થીનીઓને બસમાં બેસવાની ના પાડે છે. આખરે આ મામલે યોગ્ય ઘટતું કરવા ખાતરી મળતા વિદ્યાર્થીનીઓએ આંદોલન સમેટ્યું હતું અને એસ.ટી.નો વ્યવહાર પૂર્વવત થયો હતો.