છેલ્લા ચારેક દિવસની આશિક રાહત બાદ ભાવનગરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બે દિવસમાં રાત્રીના તાપમાનમાં સાડાત્રણ ડિગ્રીનો ઘટાડો થતા આજે લઘુતમ તાપમાન ફરી ૧૪.૫ ડિગ્રીએ પહોચી જતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ભાવનગરમાં આજે વહેલી સવારે કાતિલ ઠંડીના કારણે ઠુઠવાઇ જતા એક વૃદ્ધનુ રસ્તામાં જ મોથ થયુ હતું.
સમગ્ર રાજ્ય ભરની સાથે ઠંડીમાં ચારેક દિવસની થોડી રાહત મળ્યા બાદ ઉતરાયણથી રાજ્યભરમા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. બે દિવસમાં સરેરાશ તાપમાનમાં ચારેક ડિગ્રીનો ઘટાડો થતા મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે રહેવા પામ્યો હતો. જેમાં પાટનગર ગાધીનગર ૮.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. જ્યારે ભાવનગર શહેરમાં પણ બે દિવસમાં રાત્રીના તાપમાનમાં ૩.૫ ડિગ્રીનો ઘટાડો થતા લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રીએ પહોંચી જવા પામેલ.જેના કારણે લોકોએ કાતિલ ઠંડીનો સામનો કર્યો હતો.
ઉતરાયણના દિવસે સાંજથી જ ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં ઠંડીનો પ્રકોપ શરૂ થયો હતો. અને ગઇકાલે સોમવારે પણ સવારથી ઠંડીનો ચમકારો જળવાઈ રહ્યો હતો. અને રાત્રીના ઠંડીનુ જોર વધ્યું હતૂ. દરમ્યાન લોકોએ રાત્રીના સમયે ઘરની બહાર નિકળવાનુ ટાળ્યું હતુ જેના કારણે રસ્તાઓ સુમસામ બન્યા હતા.
આજે વહેલી સવારે શહેરના વોરાબજારના ખુણા પર એક વૃદ્ધ ઢળી પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા મૃતક પ્રેસરોડ, ભરવાડવાડામા રહેતા આણંદભાઇ મેપાભાઇ ઉ.વ.૬૫ હોવાનું ખુલ્યું હતું. તેઓ વહેલી સવારે દૂધ દેવા નિકળ્યા હતા અને ઠંડી લાગવાના કારણે તેમનુ મોત થયાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે જરૂરી કાગળો તૈયાર કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આમ વર્તમાન શિયાળાની સીઝનમાં ભાવનગરમાં ઠંડીના કારણે મૃત્યુ થયાનો પ્રથમ બનાવ બન્યો હતો.