ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (ખડગપુર) અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 800 ઇસા પૂર્વ (ખ્રિસ્તી યુગ પહેલા) માનવ વસાહતના પુરાવા મળ્યા છે. IIT ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડૉ. અનિન્દ્ય સરકારે જણાવ્યું હતું કે વડનગરમાં સઘન પુરાતત્વીય ખોદકામનો અભ્યાસએ પણ સૂચવે છે કે આ લાંબા 3,500 વર્ષો દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન તથા મધ્ય એશિયાના યૌદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ થયું હતું.
પ્રોફેસર સરકારે કહ્યું, “ટીમ છેલ્લા 4-5 વર્ષથી વડનગરમાં ASI સાથે કામ કરી રહી છે. એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. ASI 2016થી કામ કરી રહ્યું છે, 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડનગર ભારતનું એકમાત્ર પુરાતત્વીય સ્થળ છે જ્યાં પ્રારંભિકથી મધ્યયુગીન ઈતિહાસ સંપૂર્ણપણે સચવાયેલો છે અને જેનો ચોક્કસ ઘટનાક્રમ હવે જાણીતો છે. તેમણે કહ્યું, “આ 800 ઇસા પૂર્વથી સતત વસવાટ સાથે ભારતનું સૌથી જૂનું જીવિત કિલ્લેબંધ શહેર પણ છે. સાત સાંસ્કૃતિક સ્તરો મળી આવ્યા છે, જેમાં સૌથી જૂનો સ્તર 2800 વર્ષ અથવા 800 ઇસા પૂર્વનો છે.”
ડૉ. અનિન્દ્ય સરકારે કહ્યું, “અમારી તાજેતરની કેટલીક અપ્રકાશિત રેડિયોકાર્બન તારીખો સૂચવે છે કે આ વસાહત 1400 BC અથવા 1500 BC જેટલો જૂનો હોઈ શકે છે, જે ઉત્તર-શહેરી હડપ્પન કાળના અંતિમ ચરણના સમકાલીન છે. આ છેલ્લા 5 હજાર વર્ષથી ભારતમાં સાંસ્કૃતિક સાતત્ય દર્શાવે છે અને અંધકાર યુગ એક દંતકથા હોઈ શકે છે.”
તેમણે કહ્યું, “અમારા આઇસોટોપ ડેટા અને વડનગરના સાંસ્કૃતિક સમયગાળાની તારીખો દર્શાવે છે કે આ તમામ આક્રમણો ચોક્કસ તે જ સમયે થયા હતા જ્યારે કૃષિ ભારતીય ઉપખંડ મજબૂત ચોમાસા સાથે સમૃદ્ધ હતો, પરંતુ મધ્ય એશિયા અત્યંત શુષ્ક અને નિર્જન હતું, જ્યાં વારંવાર દુષ્કાળ પડતો હતો, જ્યાથી લગભગ તમામ આક્રમણ અને સ્થળાંતર થયા.
દરમિયાન પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. “વડનગરમાં પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી ખોદકામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. તેનું કારણ એ છે કે તે એક જીવંત શહેર છે કારણ કે તેના વોટર મેનેજમેન્ટને કારણે સિસ્ટમ અને સ્તર સારું છે.”
નીરિક્ષકે કહ્યું કે, વડનગરમાં અત્યાર સુધી લગભગ 30 સ્થળોનું ખોદકામ કરવામાં આવ્યું છે. બૌદ્ધ, જૈન અને હિન્દૂ સહિત વિવિધ ધર્મના લોકો અહીં સદભાવથી રહેતા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, અહીં IIT ખડગપુર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) અને ડેક્કન કોલેજના સંશોધકો સાથે મળીને કામ કરી રહ્યા છે.