લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે.
5 જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું, ‘પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્ત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી, તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે, જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે.
ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે રાજકીય પક્ષોના ફંડિંગની માહિતી જાહેર ન કરવી એ હેતુની વિરુદ્ધનું છે. SBIએ 12મી એપ્રિલ 2019થી અત્યાર સુધીની માહિતી જાહેર કરવી પડશે. SBIએ આ માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે. EC આ માહિતી શેર કરશે. SBIએ ત્રણ અઠવાડિયામાં આ માહિતી આપવી પડશે. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ત્રણ દિવસની સુનાવણી બાદ 2 નવેમ્બર, 2023ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સુનાવણીમાં, કોર્ટે પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણીપંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું. CJI DY ચંદ્રચુડે સરકારને પૂછ્યું હતું કે ચૂંટણી બોન્ડની શું જરૂર છે. સરકારને તો ખબર જ છે કે તેમને કોણ દાન આપી રહ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડ મળતાની સાથે જ પાર્ટીને ખબર પડે છે કે કોણે કેટલું દાન આપ્યું છે.
આ અંગે સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર એ જાણવા નથી માંગતી કે કોણે કેટલા રુપિયા દાનમાં આપ્યા. દાતા પોતે પોતાની ઓળખ છુપાવવા માંગે છે. તે ઈચ્છતા નથી કે અન્ય કોઈ પક્ષને તેની જાણ થાય. જો હું કોંગ્રેસને દાન આપી રહ્યો છું, તો હું ઈચ્છતો નથી કે ભાજપ તેની ખબર પડે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી છે. આ અંગે ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા.