લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રરનગરના વઢવાણથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપે કામના નામે કારનામાં જ કર્યા છે. હવે તો ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કંટાળી ગયા છે. જેઓ કહે છે કે અમારે ફક્ત ગાભા જ મારવાના છે, શું અમે ગાભા પાર્ટી છીએ…?
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પૂર્વ ધારાસભ્ય નંદકિશોરભાઇ દવેના આકસ્મિક નિધન બાદ એમનાં પરિવારજનોને સાંત્વના આપવા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. એમણે જણાવ્યું હતું કે, ભાજપે બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાની ગેરંટી આપી હતી. એમને નોકરીઓ માટેનો ભરતી મેળો કરવો જોઈએ એ તો થતો નથી, કામના નામે કારનામાં કર્યાં છે. એટલે કોંગ્રેસના ભરતી મેળાના નામે લઈ જઈ અને ભાજપ એમના જ કાર્યકરોને હતાશ કરે છે. ભાજપના જ કાર્યકરો હવે એમ કહે છે કે, શું અમારે ખાલી ગાભા જ મારવાના છે. અમે શું ગાભા પાર્ટી જ છીએ.
ભાજપ પર પ્રહાર કરતાં શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, ભાજપ કાર્યકર્તાઓના રોષના કારણે ભાજપે જાહેર કરેલાં ઉમેદવારોનાં નામો બદલવાં પડે છે. ભાજપના કાર્યકર્તાઓ અને મતદાતાઓનો અવાજ હવે જાગ્યો છે. એ જરૂર આપને પરિણામોમાં પણ જરૂર દેખાશે. જે લોકો પાંચ લાખથી વધારે લીડથી જીતવાની વાતો કરતા હોય એના ઉમેદવારોને કહેવું પડે છે કે, તમે ટ્વીટ કરો અને ખસી જાઓ. ભાજપના કાર્યકર્તાઓનો રોષ ખુલ્લેઆમ આવતો હોઇ, આ જ બતાવે છે કે, ભાજપે ગેરંટીઓ આપી હતી, એમાં તદ્દન ફેલ રહી છે.