ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષોની પરંપરા તોડીને ધો.10 અને 12ની બોર્ડ પરિક્ષાના પરિણામો એક મહિનો વ્હેલા જાહેર કરે તેવી સંભાવના છે. એપ્રિલ મહિનાના અંતમાં જ પરિણામો જાહેર થવા સાથે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી શકે છે. વ્હેલા પરિણામથી વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ નકકી કરવામાં વધુ સમય મળશે. ઉપરાંત વિવિધ એન્ટરન્સ પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરી શકશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોએ કહ્યું કે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એપ્રિલના બીજા સપ્તાહમાં જાહેર કરી દેવાની તૈયારી છે જયારે ધો.10 તથા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં આવી શકે છે. પરિક્ષા શરૂ થયાના 45 દિવસમાં જ પરિણામ આવી જવાનું ગુજરાતના શિક્ષણ બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર બનશે.
સૂત્રોના કહેવા પ્રમાણે રાજયભરમાં અંદાજીત 65000 શિક્ષકોને ઉતરવહી ચકાસણીની કામગીરી સોંપવામાં આવી છે. પરીક્ષા લેવાથી માંડીને ચકાસણીમાં દર વર્ષની સરખામણીએ ત્રણ ગણો સ્ટાફ લગાડવામાં આવ્યો છે.
ધો.12 સાયન્સ તથા ગુજકેટના પરિણામોના આધારે જ ઈજનેરી તથા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવતો હોવાના કારણોસર તે પ્રક્રિયા પણ વ્હેલી શકય બનશે.2023માં ગત વર્ષે ધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બીજી મે ના રોજ જાહેર થયુ હતું અને તે 65.58 ટકા આવ્યું હતું. ધો.12નું 25 મે ના રોજ જાહેર થયુ હતું અને તે 64.62 ટકા આવ્યુ હતું. ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મે ના રોજ જાહેર થયુ હતું અને તે 73.27 ટકા રહ્યું હતું.