આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ રાજ્યના ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, ચોટીલા અને પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
વહેલી પરોઢથી જ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વિગતો મુજબ મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા તો રાત્રીના સમયે ભજન-કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે આજે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ હતી. મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો.
યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે. મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.