લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુરમાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવાની નથી. તેના બદલે દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે. જ્યારે સરકાર મજબૂત હોય છે, ત્યારે તે જમીન પરના પડકારોને પહોંચી વળવા માટે કામ કરતી જોવા મળે છે.
PM મોદીએ કહ્યું કે, દસ વર્ષ પહેલા સુધી જમ્મુ અને કાશ્મીરમાં કેટલા ગામો હતા? જ્યાં વહેતું પાણી અને રસ્તા નહોતા. આજે દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા પાણીની સુવિધા મળી રહી છે. PM મોદીએ કહ્યું કે, ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી. અન્ય કોઈ રાજકીય પક્ષમાં તેને હટાવવાની હિંમત નહોતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યુ કે, અહીંના જૂના લોકોને 10 વર્ષ પહેલાંનું મારું ભાષણ યાદ હશે. મેં તમને કહ્યું કે મારા પર વિશ્વાસ રાખો. હું તમને 60 વર્ષની સમસ્યાઓનો ઉકેલ બતાવીશ. ત્યારે મેં અહીં માતાઓ અને બહેનોના સન્માનની ખાતરી આપી હતી. ગરીબોને બે ટાઈમના ભોજનની ચિંતા નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે જમ્મુ-કાશ્મીરના લાખો પરિવારોને 5 વર્ષ માટે મફત રાશનની ખાતરી આપવામાં આવે છે. આજે લાખો પરિવારોને 5 લાખ રૂપિયાની મફત સારવારની ગેરંટી છે.