વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતા લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કા બાદ પૂર્ણ ટકાવારીના આંકડાને તરત જ જાહેર કરવાની માંગ સાથે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે. સૂત્રોએ જણાવ્યું કે વિપક્ષી નેતા ભાજપના પોતાના ચૂંટણી અભિયાનમાં કથિત રીતે ધાર્મિક પ્રતિકોના ઉપયોગનો મુદ્દો પણ ઉઠાવશે.
ઇન્ડિયા ગઠબંધનના નેતા ગુરૂવાર બપોરે ચૂંટણી પંચને મળશે અને એક સોગંદનામું સોપીને વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) સહિત વિપક્ષી દળોએ ચૂંટણી પંચને અલગ અલગ પત્ર લખીને પ્રથમ બે તબક્કામાં મતદાનના આંકડા જાહેર કરવામાં મોડુ થવા પર ચિંતા વ્યક્ત કરી છે.
આ પહેલા પ્રથમ અને બીજા તબક્કાના મતદાનની ટકાવારીને લઇને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેયે પૂછ્યું હતું કે ચૂંટણીના 11 દિવસ બાદ મતની ટકાવારી 60થી વધીને 66 ટકા કેવી રીતે થઇ ગઇ? ચૂંટણી પંચે સ્પષ્ટ કરવું જોઇે કે જે મતદાન ટકાવારી વોટિંગના દિવસે ફાઇનલ થાય છે તે મતદાનના 11 દિવસ બાદ કેવી રીતે વધી ગઇ. ભાજપના ‘અબ કી બાર 400 પાર’ના દાવા પર કહ્યુ કે બે તબક્કાની ચૂંટણી બાદ તસવીર સ્પષ્ટ થઇ રહી છે અને છેલ્લા 8-10 દિવસથી ભાજપના ટોચના નેતાઓએ પોતાની સભાઓમાં આ દાવો કરવાનું પણ બંધ કરી નાખ્યું છે.