આજે શુભ અક્ષય તૃતીયા છે, ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ વિધી વિધાન સાથે ખોલવામાં આવ્યા છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આજે અક્ષય તૃતીયાના શુભ અવસર પર ચારધામ યાત્રા શરૂ થઈ છે, તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત અને અભિનંદન. આપ સૌને વિનંતી છે કે મુસાફરી દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. અમારી સરકારે ચારધામમાં આવનારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે. બદ્રીનાથના કપાટ ખુલવા માટે ભક્તોએ થોડી વધુ રાહ જોવી પડશે. બદ્રીનાથ ધામના દ્વાર રવિવારે 12મી મેના રોજ સવારે 6 વાગ્યે ખોલવામાં આવશે.
કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર સ્થાન છે. દર વર્ષે લાખો લોકો અહીં દર્શન માટે આવે છે. કેદારનાથની ગણતરી ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ અને પંચ કેદારમાં પણ થાય છે. કેદારનાથ મંદિરમાં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ છે. જેના કારણે મંદિરનું મહત્ત્વ વધી જાય છે.
કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કેદારનાથ મંદિરને 20 ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ભક્તો ધામમાં દર્શન કરવા આસ્થા પથથી જશે. આસ્થા પથ પર બેસવા માટે બેન્ચની જોગવાઈ છે. ઉપરાંત વરસાદ અને હિમવર્ષાથી બચાવવા માટે રેન શેલ્ટર બનાવવામાં આવ્યા છે.