સૌરાષ્ટ્ર-કચ્છમાં 42- 43 સે.તાપમાને આભમાંથી અગનવર્ષા થયા બાદ સાંજે હવામાનમાં જોરદાર પલટો આવ્યો હતો અને વિજળીના પ્રચંડ કડાકા ભડાકા અને આંધી સાથે કમોસમી વરસાદ ઠેરઠેર ખાબક્યો હતો. વિજળી પડવાથી પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આશરે 233 ગામોમાં વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તથા અનેક સ્થળે હોર્ડીંગ,રૃફટોપ પેનલ વગેરે ઉડયાના અને અમરેલી, જામનગર,સુરેન્દ્રનગર, જસદણ,ગોંડલ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઉનાળુ સીઝનના કૃષિપાકને વ્યાપકપણે નુક્શાનના અહેવાલો છે જ્યાં તાત્કાલિક સર્વે કરાવીને વળતર ચૂકવવા માંગણી થઈ છે.
રાત્રે આઠ સુધીમાં મુળી ૨ ઈંચ, કચ્છના નખત્રાણા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુંકાવાવ, વડિયા, લાઠી, બાબરા, વઢવાણ, રાજકોટ જિ.નું જેતપુર અને લોધિકા,ઉપલેટા,, અમરેલીનું બાબરા, સુરેન્દ્રનગરનુ થાનગઢ ચોટીલા, સાયલા, જુનાગઢ શહેર,તાલુકા,રાજકોટ શહેર વગેરે સ્થળોએ ભારે ઝાપટાંથી અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.
પોરબંદરમાં શીશલી ગામે વાડી વિસ્તારમાં ફોન પર વાત કરી રહેલા બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામના યુવાન પર વિજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ કારાવદરા (ઉ. 60) અને તેમના પુત્ર મુકેશભાઈ વાડીએ હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો, બાદમાં વરસાદ ધીમો પડતા બન્ને બહાર નીકળ્યા ત્યાં અચાનક વિજળી પડતા જીવાભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે મુકેશભાઈને હોસ્પિટલે ખસેડાયા હતા. પોરબંદરમાં અનેક સ્થળે વૃક્ષો ધસી પડયા હતા અને વિજવાયરોને નુક્શાન થયું છે.
સુરેન્દ્રનગરમાં ઠેરઠેર કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, મુળીમાં આજે ધોધમાર 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મુળી તાલુકાના ખાટડી ગામની સીમમાં કામ કરતા સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર (ઉ. 57) ઉપર વિજળી પડતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચોટીલા તાલુકાના મોકાસર ગામની સીમમાં કામ કરતી 18 વર્ષીય યુવતી આશાબેન મનસુખભાઈ ઉપર વિજળી પડતા મોત નીપજ્યું હતું. બન્ને ગામોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. ચોટીલા તાલુકામાં અને વઢવાણ પંથકમાં વરસાદની સાથે કરાં વરસ્યા હતા. ઝાલાવાડમાં તલ,બાજરી,ગમગુવાર,શાકભાજી સહિત પાકોને ૩૦થી ૪૦ ટકા નુક્શાન ગયાના અહેવાલો છે.