હરિયાણાના મહેન્દ્રગઢમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે અગ્નિવીર યોજના અને સરકાર પર પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે. નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે. એક એવા શહીદ જેના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બધી જ સુવિધાઓ મળશે. જયારે બીજા પ્રકારના શહીદ એટલે કે ગરીબ ઘરનો દીકરો જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે. આ અગ્નિવીરને ન તો શહીદનો દરજ્જો મળશે, ન તેને પેન્શન મળશે, ન તો તેને કોઈ સુવિધા મળશે, ન તો તેને કેન્ટીન મળશે. આ યોજના નરેન્દ્ર મોદીની યોજના છે. આ સેનાની યોજના નથી. સેનાને તે જોઈતી નથી. આ યોજના પીએમઓ તરફથી બનાવવામાં આવી છે, ‘I.N.D.I.A.’ ગઠબંધન સરકાર આવશે, ત્યારે અમે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘જો કોઈપણ યુવાન શહીદ થશે પછી ભલે તે હરિયાણાનો હોય કે અન્ય કોઈ જગ્યાનો બધા એક જ પ્રકારના શહીદ હશે. બધાને સમાન સુવિધાઓ મળશે. ઇન્ડિયા સરકાર બધાની રક્ષા કરશે, બધાના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો બધાને મળશે. અમે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું.’