રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રાજ્યના 100થી વધુ ગેમઝોનમાં નિયમોનું પાલન કરાતું ન હોવાથી બંધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 30 ટકાથી વધુ ગેમઝોન પાસે ફાયર એનઓસી જ ન હતી. કેટલાક તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમતા હતા. મોટાભાગના ગેમઝોનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું, તેમજ કેટલાક દરવાજા મોડા ખુલતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભુજમાં 3 ગેમઝોનમાં બાંધકામની મંજૂરી વિના ચાલતાં સીલ કરી દેવાયા હતા. તો માધાપરમાં અંડર ગ્રાઉન્ડ ગેમઝોનમાં આવવા-જવવાનો એક જ રસ્તો હતો. ચરોતરમાં 5 વર્ષથી એનઓસી વિના ચાલતાં 3 ગેમઝોન બંધ કરાયા હતા. પાલનપુરમાં આનંદ મેળો શનિવારે રાત્રે જ બંધ કરાયા બાદ જાણવા મળ્યું હતુ કે, ફાયર સેફ્ટીના સાધનો છે પણ એનઓસી મેળવી નથી.
અમદાવાદમાં સરકારી ચોપડે 25 ગેમ ઝોન નોંધાયા છે. જેમાંથી માત્ર 10 ગેમ ઝોન પાસે જ હાલમાં ફાયર એનઓસી છે, જ્યારે બાકીના ગેમ ઝોન ફાયર એનઓસી વગર જ ચાલી રહ્યાં છે. જાહેર થયેલી માહિતી મુજબ, અમદાવાદમાં 9 સંચાલકોએ ફાયર એનઓસી માટે અરજી કરી છે, પરંતુ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેસન દ્વારા સંચાલકોને ફાયર એનઓસી અપાઇ નથી. રવિવારે અમદાવાદમાં ગેમ ઝોનની તપાસ કરવા માટે 3 ટીમો તૈયાર કરી કરાઇ હતી. રાજકોટની ઘટના બાદ અમદાવાદના 25 ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા હતા.
વડોદરામાં આવેલા તમામ 10 ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી સહિત સેફ્ટીનાં સાધનો જોવા મળ્યાં હતાં, વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્સી મોલના બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં ગેરકાયદે ગો કાર્ટિંગ ચલાવવામાં આવી રહ્યું હતું, જે નિયમ વિરુદ્ધ હતું. માંજલપુર ઇવા મોલમાં 3 ગેમ ઝોન, અક્ષર ચોક પાસે ગેમ ઝોન, ગોરવા ઇનોર્બિટ મોલમાં તપાસ કરાઈ હતી. આ સાથે ખુલ્લા ગ્રાઉન્ડમાં કાર્યરત બે ગેમ ઝોન પૈકી ફન બ્લાસ્ટ 15 દિવસ અગાઉ બંધ કરાવવા આવ્યો હતો.
સુરત મહાપાલિકા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનની તપાસ માટે મ્યુનિ.એ 12 ટીમ બનાવી શનિવાર રાતથી ગેમ ઝોન સિલિંગ કાર્યવાહી હાથ ધરી છે જે રવિવારે દિવસ દરમિયાન જારી રહી હતી. ગેમ્સ ઝોનમાં એનઓસી, ઇલેક્ટ્રિકલ ખામીઓ જોખમી ચીજવસ્તુઓ સહિતની ક્ષતિઓ જણાઈ આવતાં 18 ગેમ ઝોન્સ તથા અન્ય નાના 6 પ્લે અરિયા બંધ કરી દેવાયા છે. વનિતા વિશ્રામ, ખાટુ શ્યામ મંદિર સામે, VR મોલ સામે આવેલા ત્રણ મેળા બંધ કરી દેવાયા છે. કતારગામ ના ત્રણ અને રાંદેરના 1 ગેમ ઝોનના સીલિંગની માહિતી મ્યુનિ.એ છુપાવી હતી.






