નેશનલ ડેમૉક્રેટિક એલાયન્સના સંસદીય દળની બેઠક સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થઈ છે. આ બેઠકમાં સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. આ ઉપરાંત એનડીએના સાંસદો વચ્ચે મંત્રાલયોની વહેંચણી પર પણ સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોનું કહેવું છે કે 9 તારીખે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. તેઓ NDAના નેતા તરીકે ચૂંટાયા હતા.
ગુરુવારે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર હતા. બેઠકમાં નવી સરકારની રચના, કેબિનેટમાં ભાજપ અને તેના સહયોગીઓને સ્થાન આપવા અને શપથગ્રહણની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છેકે, ભાજપ પાસે બહુમતી નથી, 14 સહયોગીઓનાં 53 સાંસદોનું સમર્થન તેને છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. જો કે એનડીએ 293 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. ભાજપ સિવાય NDA પાસે 14 સહયોગી પક્ષોના 53 સાંસદો છે. ચંદ્રાબાબુની ટીડીપી 16 બેઠકો સાથે ગઠબંધનમાં બીજા નંબરે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.