વડાપ્રધાનના શપથગ્રહણ બાદ ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સત્રની શરૂઆત નવા સાંસદોના શપથ ગ્રહણ સાથે થશે. તમામ સાંસદોને શપથ લેવા માટે બે દિવસ લાગી શકે છે. આ પછી નવા લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠકને સંબોધીને સત્રની ઔપચારિક શરૂઆત કરશે.
સત્રની તારીખો પર અંતિમ નિર્ણય નવી કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગળહોમાં પરિચય પણ કરાવશે. સત્ર ૨૨ જૂને સમાપ્ત થવાની સંભાવના છે. આ સત્ર એક સપ્તાહના ટૂંકા ગાળા માટે યોજાય તેવી શકયતા છે. આ પછી, સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ-ઓગસ્ટમાં યોજાશે અને આ દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું નિયમિત બજેટ પણ રજૂ કરવામાં આવશે.
શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શકયતા
રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫ જૂને ૧૭મી લોકસભા ભંગ કરી દીધી હતી. જેના પગલે મુર્મુએ શુક્રવારે નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.