લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએને 24 બેઠકો પર નુકસાન થયું જેથી ભાજપ, સીએમ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીમાં બેચેની છે. ગઠબંધનને ડર છે કે જો લોકસભા ચૂંટણી જેવો માહોલ રહેશે તો આગામી 4 મહિના પછી યોજનાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન, શિંદે અને અજિત જૂથના 15-20 ધારાસભ્ય ઘરવાપસીની રાહ તલાશી રહ્યા છે.
એનસીપીના છગન ભુજબલ, શિંદેના મંત્રી અબ્દુલ સત્તારે સંકેત આપ્યા છે. મોદી કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતાં અજિત જૂથમાં અસંતોષ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી છે. 2019માં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે 288માંથી ભાજપ 105 અને શિવસેના 56 બેઠકો પર ચૂંટણી લડી હતી.
સૂત્રો મુજબ વિધાનસભા કાર્યકાળનો સમય હવે ચાર મહિના બાકી રહ્યો છે. તેથી શિંદે કે અજિત જૂથના ધારાસભ્યો ઉતાવળમાં પક્ષ નહીં બદલે. તેઓ ચાર મહિના સત્તામાં રહી ક્ષેત્ર માટે ફંડ લેશે. જ્યારે ચૂંટણી એકદમ નજીક આવશે ત્યારે નેતાઓમાં પક્ષપલટો જોવા મળી શકે છે.
સીટ વહેંચણી વિવાદ- પોતાનો મુખ્યમંત્રી નીમવા ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાં 170-180 બેઠકો પર લડશે. ત્યારે શિંદે, અજિત 100 પર નહીં માને. પાર્ટી તોડવા બદલ લોકસભા ચૂંટણીમાં શરદ-ઉદ્ધવને જનતાની સહાનુભૂતિ મળી. તેમનો સાથ આપવાથી કોંગ્રેસને પણ ફાયદો થયો. લોકસભા પરિણામમાં નજર કરીએ તો 288 વિધાનસભા ક્ષેત્રમાંથી 150 પર ઈન્ડિયાના વોટ વધારે રહ્યા. આ દરમિયાન શરદ પવારે અજિતના 30 ધારાસભ્યનો ટાર્ગેટ કરતાં તેમના વિરુદ્ધ મજબૂત ઉમેદવારો ઊભા રાખ્યા. અજિતના કેટલાક વિધાયકો ફરી પવાર પાસે આવવા માગે છે. પરિણામ બાદ અજિતની બેઠકમાં 5 ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા.