સાઉદી અરેબિયાના મક્કામાં આ વર્ષે હજ કરવા ગયેલા 98 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે આ વાતને સમર્થન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ 1,75,000 લોકો હજ કરવા માટે સાઉદી અરેબિયા ગયા છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન 187 ભારતીય નાગરિકોના મોત થયા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારું હજ મિશન મક્કામાં કામ કરી રહ્યું છે. મુસાફરો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે આ પ્રકારના અકસ્માત અંગે તાત્કાલિક પગલાં લઈએ છીએ. દરેકનું ધ્યાન રાખવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે મક્કામાં ખૂબ જ ગરમી છે. ત્યાં લોકો ગરમીનો ભોગ પણ બની રહ્યા છે.
મધ્ય પૂર્વમાં આકરી ગરમી વચ્ચે મક્કામાં 17 જૂને તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે 18મી જૂનના રોજ ગરમીનો પારો 47 ડિગ્રીએ રહેતાં થોડી રાહત મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 10 દેશોના 1081 હજ યાત્રીઓના મોત થયા છે. ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા, જોર્ડન, ઈરાન, પાકિસ્તાન, ટ્યુનિશિયા વગેરે દેશોના નાગરિકો પણ છે. સાઉદી રાજદ્વારીઓએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં ઇજિપ્તની યાત્રાળુઓની સંખ્યા સૌથી વધુ છે, કારણ કે તેમાંથી ઘણાએ હજ માટે નોંધણી કરાવી ન હતી.