અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત થયા છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સવારે પાંચ વાગ્યે બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ હતી, જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી, જેમાં દારૂ ભર્યો હતો. તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.