દેશભરમાં ચોમાસાના આગમન બાદ અનેક રાજ્યોમાં મુશ્કેલી સર્જાઇ છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના નવ રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે માર્ગ, ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે. મુંબઈમાં વિધાનસભાના બંને ગૃહોની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. બિહારમાં વીજળી પડવાથી 12 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આસામમાં 23 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ભૂસ્ખલનને કારણે અરુણાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓનો માર્ગ સંપર્ક તૂટી ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગોવામાં મુશળધાર વરસાદ થયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સોમવારે સવારે 7 વાગ્યા પહેલાના છ કલાકમાં મુંબઈમાં 300 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે પચાસ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
જ્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે જાહેર ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનોની અવર જવર પણ અટકી છે. શાળાઓ અને કોલેજો બંધ કરવી પડી અને મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ કરવી પડી. ઉત્તર ગોવામાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે.
હવામાન કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ છે. જેના કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આંધી અને વીજળી પડવાની સંભાવના છે. રાજ્ય વહીવટીતંત્ર 25 જિલ્લામાં 543 રાહત શિબિરો પર નજર રાખી રહ્યું છે. આ 25 જિલ્લાઓમાં કુલ 3,45,500 લોકો રાહત શિબિરોમાં રહે છે.