મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવ્યાં હતા. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડમાં 6 ઈંચ તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જોવા મળ્યું હતું. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. તેમજ જલાલપોરના ખડસાડ ગામમાં તો મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી હતી. ત્યારે આજે પણ રાજ્યના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં સવા 6 ઈંચ, ગણદેવી અને ખેરગામમાં સવા પાંચ ઈંચ, નવાસારીમાં પાંચ ઈંચ, પારડી, ચીખલી અને જલાલપુરમાં સવા ચાર ઈંચ તેમજ વાપીમાં ચાર ઈંચ અને ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યનો સિઝનનો એવરેજ 28.12 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 37.55 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.88 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 18.48 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 18.72 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.