તાજેતરમાં સમાપન થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને પછાડ્યા બાદ ચેમ્પિયન બનેલી દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ હવે નવા કારણોસર ચર્ચામાં આવી ગયા છે. જેમાં ખાસ કરીને યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરૈશ રૈના એક મોટા વિવાદમાં સંપડાઈ ગયા છે.
ટુર્નામેન્ટ જીત્યાં બાદ તેની ઉજવણી કરવામાં આ ખેલાડીઓ કંઇક એવું કરી બેઠાં જેની જરૂર નહોતી. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાતું હતું કે હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના તથા ગુરકીરત માન દિવ્યાંગ લોકોની મજાક બનાવી રહ્યા છે. તેમાં તાજેતરના એક લોકપ્રિય ગીત પર આ મજાક બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેના લીધે તેઓ ટીકાકારોના નિશાને આવી ગયા છે. આ ચારેય વરિષ્ઠ ખેલાડીઓ સામે હવે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે.
વીડિયોને કારણે દિવ્યાંગોને ભારે ઝટકો લાગ્યો હતો અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવી ગયું હતું. ભારતની પ્રખ્યાત પેરા એથ્લેટ માનસી જોશીએ આ ખેલાડીઓને ફટકાર લગાવતા કહ્યું કે પોલિયોથી પીડિત વિકલાંગ લોકોની આ રીતે મજાક ઉડાવવી એ સારી વાત નથી. આ સિવાય ભારતીય પેરાલિમ્પિક સંઘે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેલાડીઓને ઠપકો આપ્યો હતો. હવે આ મામલે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ’ (NCPEDP) એ ચારેય ક્રિકેટરો સામે નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા સામે પણ આવો વીડિયો પોસ્ટ કરવાની પરવાનગી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.