મહારાષ્ટ્રના મુંબઈમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. મુંબઈમાં થયેલાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જેસીબીને પણ ઘટનાસ્થળે બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું કે, “આ ઈમારત આજે સવારે 5 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ ગ્રાઉન્ડ 3 માળની ઈમારત છે જે સેક્ટર-19, શાહબાઝ ગામમાં છે. તે 3 માળની ઈમારત હતી. 52 લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા અને કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોને બચાવી લેવાયા છે. જેઓને બચાવી લેવામાં આવ્યા છે તેઓની હાલત સ્થિત છે. આ 10 વર્ષ જૂની ઈમારત છે, તપાસ ચાલી રહી છે જે પણ દોષિત ઠરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબિનિસા મંઝિલમાં સવારે 11:00 વાગ્યે બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા.