જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં શનિવારે (27 જુલાઈ) સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈનિકો કમકારી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતું.
સુરક્ષા દળોને કમકારી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હુમલા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હોવાની આશંકા છે. વધારાના સૈનિકો મોકલીને શોધખોળ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કોવુત વિસ્તારમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ નોન-કમિશન્ડ ઓફિસર દિલાવર સિંહનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને પણ ઠાર કર્યો હતો.
મંગળવારે પૂંછમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં લાન્સ નાઈક સુભાષ કુમાર શહીદ થયા હતા. જુલાઈ 2024માં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 9 મોટા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. જેમાં કુલ 13 જવાનો શહીદ થયા છે, જ્યારે સુરક્ષા જવાનોએ 12 આતંકીઓને ઠાર કર્યા હતા.