કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામો ધોવાઈ ગયા હતા. મકાનો, પુલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. 70 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી.
વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે – મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા. SDRF અને NDRFની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર હાજર છે. કન્નુરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે. આ સિવાય એરફોર્સના બે હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝિકોડ, મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. વાયનાડ દુર્ઘટનાના બચાવ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે.
પાંચ વર્ષ પહેલા 2019માં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોનાં મોત થયા હતા. 5 લોકો આજદિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશાયી થયા હતા.