કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 313 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે દુર્ઘટનાના ચોથા દિવસ પછી પણ 206 લોકો હજુ પણ લાપતા છે. હવામાન વિભાગે આજે (2 ઓગસ્ટ) અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુરૂવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) આ દુર્ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ. અમે બચાવમાં સામેલ લોકોની પ્રશંસા કરીએ છીએ. બીજી તરફ ગુરુવારે વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આજે અહીં પીડિતોને મળશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી ગુરુવારે સવારે વાયનાડ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન બંનેએ લેન્ડ સ્લાઈડ અસરગ્રસ્ત લોકો સાથે વાત કરી હતી. ચુરામાલા અને મેપ્પડી ખાતેની હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રના શબઘરો પણ પહોંચી ગયા હતા. કેરળના મહેસૂલ મંત્રી કે રાજને ગુરુવારે કહ્યું કે, અત્યાર સુધીમાં 9328 લોકોને 91 રાહત શિબિરોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 578 પરિવારોના 2328 લોકો ચૂરામાલા અને મેપ્પડીના છે. સૌથી વધુ વિનાશ અહીં થયો હતો.
પીડિતોની મદદ માટે આગળ આવ્યા સાઉથ સ્ટાર્સ
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયએ પણ આ આપત્તિથી પ્રભાવિત લોકો માટે રાહત ફંડની જાહેરાત કરી હતી. હવે સામાન્ય લોકોની સાથે સાઉથ સિનેમાના સ્ટાર્સે પણ જરૂરિયાતમંદોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં પૈસા દાનમાં આપ્યા છે. ‘એનિમલ’ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પીડિતો અને ઘાયલોને મદદનો હાથ લંબાવ્યો છે. અભિનેત્રીએ સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે. રશ્મિકા ઉપરાંત, મલયાલમ અભિનેતા ફહાદ ફાસિલ અને તેની પત્ની નઝરિયા નાઝીમે પણ પીડિતોની મદદ માટે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરીને તમામ સ્ટાર્સ રિયલ લાઈફ હીરો બની ગયા છે.