સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની 40 વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાનો હોવાનો પર્દાફાશ થયો છે. સાક્ષી સહિત પાંચ લોકો અસલ માલિક જેવી દેખાતી વ્યક્તિને રજૂ કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, 40 વીઘા જમીનની માર્કેટ વેલ્યૂ 90થી 100 કરોડ રૂપિયા જેવી થાય છે. એમાંથી 14 વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં 3.41 કરોડ રૂપિયા લઈ લીધા હતા.
ભેસાણ ગામ પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરૂષ રૂસ્તમજી પટેલની ભેસાણના અલગ-અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બે ભેજાબાજ ગયા હતા, પરંતુ કુરૂષ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, જેથી તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વાંધાઅરજી કરી હતી, જેથી સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને કુરૂષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામઅલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટરમાઈન્ડ મુકેશ મનસુખ મેંદપરાની ધરપકડ કરી હતી, જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ભેસાણ ગામની 40 વીઘા જમીન છે. વૃદ્ધ પારસીની આ જમીન છે. તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે જો કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો. તેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે આ શખસો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોમાંથી એક જે મૂળ માલિક તરફથી આવ્યો હતો તેનું નામ ઝાકીર હુસૈન છે, જે ગીર સોમનાથના વેરાવળનો રહેવાસી છે. તેની ઘટનાસ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય જમીનદલાલ મુકેશની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે ત્યાં હાજર પીયૂષ શાહ અને અકબર નામની વ્યક્તિ પોલીસ પહોંચે એ પહેલાં ત્યાંથી નાસી ગયા હતા.