વધુ વજનના કારણે વિનેશ ફોગાટને ફાઈનલ મેચમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, હવે આનાથી વધુ તાકાત નથી રહી. અલવિદા કુસ્તી 2001-2024.” તેણે માફી માંગતા કહ્યું કે તમારા બધાની હંમેશા ઋણી રહીશ.
વિનેશ ફોગાટે તેના હરીફ સામે સેમિફાઇનલ મેચ 5-0ના માર્જિનથી જીતી હતી અને ઓલિમ્પિક ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી. વિનેશની જાહેરાત બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, “વિનેશ, તમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા છે, અમારા માટે હંમેશા તમે વિજેતા રહેશો, તમે ભારતની દીકરી હોવાની સાથે-સાથે ભારતનું ગૌરવ પણ છો.” જણાવી દઈએ કે વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
જો નિર્ણય વિનેશ તરફ આવ્યો તો ભારતને સિલ્વર મેડલ હજુ પણ મળી શકે
ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10 દિવસના સમયગાળા દરમિયાન ઉદ્ભવતા કોઈપણ વિવાદના નિરાકરણ માટે અહીં એડ-હોક વિભાગની સ્થાપના કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ગુરુવારે એટલે કે આજે સવારે થશે એન આજે જો નિર્ણય વિનેશ તરફ આવ્યો તો ભારતને સિલ્વર મેડલ હજુ પણ મળી શકે છે.