દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ના મળી. કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કેજરીવાલ માટે વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીબીઆઈ દ્વારા ધરપકડને પડકારી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સીબીઆઈને નોટિસ મોકલીને તેનો જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. સીએમ કેજરીવાલે દારૂ નીતિ મામલે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં તેમની ધરપકડને પડકારવા સાથે કોર્ટમાં જામીન માટે પણ અરજી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કેજરીવાલની બંને અરજીઓ પર સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ અંગે 12 જુલાઈએ વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ 26 જૂને સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા તેઓ હજુ પણ જેલમાં છે. અરવિંદ કેજરીવાલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેતા ટ્રાયલ કોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના વકીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.