SDRFએ ગુરુવારે ઉત્તરાખંડના કેદારનાથમાં 16 દિવસથી કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 31 જુલાઈના રોજ વાદળ ફાટ્યા બાદ લગભગ 15 હજાર લોકો અહીં ફસાયા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા કેટલાક વધુ મૃતદેહો પણ મળી શકે છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. લખીમપુર ખેરીના 250 ગામોમાં પાણી ભરાઈ ગયા છે. 2.50 લાખ લોકો તેનાથી પ્રભાવિત છે. રાજસ્થાનમાં પણ બુંદીના હિંડૌલીમાં 9 ઈંચ વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે શુક્રવારે ભીલવાડા અને જોધપુરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 126 રસ્તાઓ બંધ છે. જેમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે. 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.