સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 28 આરોપીઓની ધરપકડ કરી હતી, આ ઘટનામાં રિક્ષાચાલકને ખ્યાલ નહોતો કે આ છ કિશોર શું કરવા જઈ રહ્યા છે. પંડાલ પાસે તેણે રિક્ષા રોકી કે તુરંત જ છમાંથી એક મુખ્ય કિશોર આરોપીએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ કિશોર તેના દાદી સાથે રહે છે અને મદરેસામાં જાય છે. પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કર્યા છે.
આરોપી કિશોર દાદી સાથે રહે છે. તેના પિતાનું અવસાન થયું છે. જ્યારે તેની માતાએ બીજા લગ્ન કર્યા છે. તે મદરેસામાં જાય છે. 2 દિવસ પહેલા પણ તે તેના મિત્રો સાથે અહીં આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. જેના કારણે લોકોએ પોલીસ રક્ષણની પણ માગ કરી હતી. પોલીસે રિક્ષાચાલકની પણ ધરપકડ કરી લીધી છે, જો કે, રિક્ષાચાલકની ભૂમિકા શું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ રિક્ષાચાલકે જણાવ્યું હતું કે, રિક્ષામાં બેસેલા બાળકો શું કરવાના છે તે અંગે મને જાણકારી નહોતી. હું તેમના વિસ્તારમાં રહું છું અને તેઓએ કહ્યું હતું કે, અમારે સૈયદપુરા જવાનું છે.