કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ દેશના પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, તેઓ જ્યાં સુધી કેન્દ્રીય ગૃહમંત્રી હતા, ત્યારે તેમને કાશ્મીર જવાની સલાહ આપવામાં આવતી હતી, પરંતુ આમ કરવાથી તેમને ભય લાગતો હતો. રાશિદ કિદવઈના એક પુસ્તક વિમોચન પર સુશીલ શિંદેએ આ નિવેદન આપ્યું છે.
આ કાર્યક્રમમાં સુશીલ શિંદેએ જણાવ્યું, “જ્યારે હું ગૃહમંત્રી હતો, ત્યારે મને કોઈએ સલાહ આપી હતી કે, તમે લાલ ચોક જઈ ભાષણ આપો. લોકોને મળો, ડાલ લેકની મુલાકાત લો. આમ કરવાથી ત્યાંના લોકોને લાગશે કે, આ કેટલા સારા ગૃહમંત્રી છે કે, જે ડર્યા વિના કાશ્મીર આવે છે, તેનાથી લોકપ્રિયતા વધશે, પરંતુ હકીકતમાં મને ખૂબ જ ભય લાગતો હતો.”
પૂર્વ ગૃહમંત્રીના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે, “કોંગ્રેસે શિંદેના શબ્દો પર ધ્યાન આપવાની જરૂર છે. યુપીએ યુગના ગૃહમંત્રી સુશીલ શિંદેએ સ્વીકાર્યું કે તેઓ જમ્મુ-કાશ્મીર જવાથી ડરતા હતા. પરંતુ આજે રાહુલ ગાંધીને તમે સરળતાથી કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં જોઈ શકો છો. પરંતુ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સમયે આ શક્ય ન હતું. તેઓ જમ્મુ-કાશ્મીરને ફરી આતંકના દિવસોમાં લઈ જવા માંગે છે.”