કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા બાદ મમતા સરકાર ચારે બાજુથી ઘેરાયેલી છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીનું એક નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું છે. આ ટીએમસી સાંસદે પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરોને ધમકી આપતા કહ્યું હતું કે આ પ્રદર્શનકારીઓ ડોક્ટર બનવા યોગ્ય નથી. ડોક્ટરો ક્યારેય દર્દીઓનો જીવ જોખમમાં ન મૂકે. આ જૂનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે.
આ નિવેદનથી હોબાળો થયો છે. બંગાળમાં પ્રદર્શન કરી રહેલાં જૂનિયર ડોક્ટરોની છેલ્લી પરીક્ષા બાકી છે. ભાજપે આ ધમકી આપવા બદલ કલ્યાણ બેનર્જીની ટીકા કરી હતી. આ પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકોમાં સીએમ વિરુદ્ધ આક્રોશ બાદ હવે તેઓ તેમની સાથે કોઈ જાહેર મંચ પર હિસ્સો નહીં લે. સીએમ મમતાનો સામાજિક બહિષ્કાર કરશે.
રાજ્યપાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તેઓ હવે મુખ્યમંત્રી સાથે કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ શેર કરશે નહીં. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સીએમ સામે કાર્યવાહી કરવામાં આવશે. બંગાળના રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે. બંગાળની મમતા સરકાર તેમની ફરજોમાં નિષ્ફળ રહી છે. જ્યાં સુધી પીડિતાના માતા-પિતા અને બંગાળના લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મમતાનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.