દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી સોમવારે સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. અરવિંદ કેજરીવાલે આપ આગેવાનો અને મંત્રીઓ સાથે વ્યક્તિગત મળીને ચર્ચા કરી, આ બેઠક પૂરી થયા પછી દિલ્હીના મંત્રી અને આપના આગેવાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે સીએમએ જાહેરાત કરી હતી કે તેઓ મંગળવારે રાજીનામુ આપી દેશે.
લેફ્ટનન્ટ ગવર્નરે મંગળવાર સાંજે મળવાનો સમય આપ્યો છે. તેથી તેઓ એલજીને આજે સાંજે રાજીનામુ આપે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં છે. આ ઘટનાક્રમને લઈને કેજરીવાલે રાજકીય મામલાની સમિતિને બોલાવી હતી. કેજરીવાલે નવા મુખ્યમંત્રીના વિષય પર ઉપલબ્ધ બધા રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની પાસેથી ફીડબેક લીધું છે. આજે આપના વિધાનસભા પક્ષની બેઠક થશે અને આ ચર્ચાને બીજા તબક્કામાં લઈ જશે.
નવા સીએમના નામ પર ચર્ચા શરૂ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પછી નવા સીએમના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કૈલાસ ગેહલોત, ગોપાલ રાય અને આતિશીમાંથી કોઈ એકને સીએમની ખુરશી મળી શકે છે. જો કે હજી સુધી કોઈ નામ પર મહોર લાગી નથી.