મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ઘાયલ થયા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 163 ની પેટા કલમ 1 હેઠળ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આગામી આદેશો સુધી લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે.
પોલીસે જણાવ્યું કે બંને જુથ નાગા સમુદાયના છે, પરંતુ હુનફૂન અને હાંગપુંગ નામના બે અલગ-અલગ ગામોના છે. બંને જુથ એક જ જમીન પર દાવો કરે છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવાદિત જમીનની સફાઈ અંગે બંને પક્ષો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિસ્તારમાં આસામ રાઈફલ્સ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ, પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના ટાઉન કમાન્ડરની મંગળવારે ચુરાચાંદપુર જિલ્લાના લીશાંગ ગામ પાસે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ જિલ્લાના કપરાંગ ગામના રહેવાસી સેખોહાઓ હાઓકીપ તરીકે થઈ હતી.
પોલીસે જણાવ્યું કે મૃતક યુનાઈટેડ કુકી નેશનલ આર્મી (UKNA)નો સભ્ય હતો. આ ઘટના ગઈ કાલે સવારે 12:15 વાગ્યે ચુરાચંદપુરના ટોરબુંગ બંગલાથી લગભગ 1.5 કિમી દૂર બની હતી. પોલીસે હાઓકીપના મૃતદેહને ચુરાચાંદપુર મેડિકલ કોલેજના શબઘરમાં રાખ્યો છે.