રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગોવાના પૂર્વ પ્રમુખ સુભાષ વેલિંગકરે એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેને કારણે ખ્રિસ્તીઓ ભડક્યા હતા અને વેલિંગકરની ધરપકડની માગણી કરી હતી. વેલિંગકરને વિવાદિત નિવેદનો બદલ 2016માં જ સંઘમાંથી કાઢી મુકાયા હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે સેંટ ફ્રાંસિસ ઝેવિયરના અસ્થીઓનું ડીએનએ વિશ્લેષણ કરવાની ટિપ્પણી કરીને વિવાદ છેડયો હતો. ખ્રિસ્તીઓએ તેમની સામે કાર્યવાહીની માગ સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા.
ગોવામાં અનેક સ્થળોએ ખ્રિસ્તી સમાજના લોકો એકઠા થયા હતા અને વેલિંગકરની ધરપકડની માગણી કરી હતી. બીજી તરફ ગોવા પોલીસે વેલિંગકરની સામે એફઆઇઆર દાખલ કરી છે. આ ફરિયાદ દાખલ થયા બાદ સંઘના પૂર્વ નેતા ફરાર થઇ ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ગોવા પોલીસે જણાવ્યું હતું કે હાલ અમે વેલિંગકરની શોધખોળ કરી રહ્યા છીએ. તેમની સામે આશરે છ જેટલી ફરિયાદો દાખલ થઇ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વેલિંગકરે ઇરાદાપૂર્વક સેંટ ફ્રાંસિસ ઝેવિયર અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને કારણે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.
શુક્રવારે જ પોલીસની ટીમ વેલિંગકરના ઘરે પહોંચી હતી જોકે તેઓ ત્યાં નહોતા. અહીંના મડગાંવમાં પોલીસ સ્ટેશન બહાર ૩૦૦થી વધુ ખ્રિસ્તીઓ એકઠા થયા હતા અને તેમણે વેલિંગકરની ધરપકડની માગણી કરી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ ગોવામાં ધાર્મિક ઘર્ષણ કરાવવા માગે છે. ગોવા વિવિધતામાં એકતા માટે જાણીતુ છે, ભાજપ આ એકતા પર હુમલો કરવા માગે છે. સંઘના પૂર્વ નેતા ખ્રિસ્તીઓને ભડકાવી રહ્યા છે જ્યારે સંઘ પોતે મુસ્લિમોનો બહિષ્કાર કરવાનું કહે છે. નોંધનીય છે કે હજુ એક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે મોહમ્મદ પયગંબર અંગે ભડકાઉ નિવેદન આપીને વિવાદ છેડયો હતો, ત્યારે હવે ગોવામાં ખ્રિસ્તીઓના ધર્મગુરૂ અંગે સંઘના પૂર્વ નેતાએ ટિપ્પણી કરીને ખ્રિસ્તીઓને ભડકાવ્યા છે.
વેલિંગકરની ધરપકડની માગણી સાથે ગોવાના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. સેંકડો દેખાવકારોએ મારગાવમાં પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિરોધીઓએ મારગાવ, અંજુના અને ઓલ્ડ ગોવામાં રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે જો વેલિંગકરની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ઝુઆરી બ્રિજ બંધ કરી દેશે. 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.