દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નીટ પેપર લીકના વિરોધમાં આંદોલન કરી રહેલા જાણીતા પર્યાવરણવિદ્ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ગુરુવારે મધ્ય રાત્રિ બાદ પોતાના 26 દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે પોતાના અનશન સમેટ્યા હતા.
હોસ્પિટલના રૂમમાંથી સામે આવેલા દ્રશ્યોમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વાંગચુકને પથારીમાં બેઠા થવામાં મદદ કરી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેમને કપમાંથી પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા. આ ક્ષણે વાંગચુકના પત્ની ગીતાંજલિ અંગમો પણ તેમની સાથે હાજર રહ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચા બાદ મંત્રીઓ જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ વાંગચુકને મળવા પહોંચ્યા હતા.
ઉપવાસ તોડ્યા બાદ તુરંત જ સોનમ વાંગચુકે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું કે કેન્દ્ર સરકાર સાથેની ‘લાંબી વાટાઘાટો’ અને દેશમાં આંદોલન હિંસક સ્વરૂપ ન લે તે હેતુથી તેમણે આ નિર્ણય લીધો છે.તેમણે જણાવ્યું કે જુદા જુદા રાજકીય પક્ષોના 65 જેટલા સાંસદોએ તેમની મુલાકાત લીધી હતી અથવા તો ઉપવાસ છોડવા માટે અપીલ કરી હતી.ઘણી શરતો પર લાંબી વાટાઘાટો થયા પછી અને દેશમાં સંભવિત હિંસાને ધ્યાનમાં રાખીને મેં ઉપવાસ તોડ્યા છે. હું ટૂંક સમયમાં એક અલગ વિડિયોમાં આ શરતો વિશે વિગતવાર સમજાવીશ.તેમણે પોતાના સમર્થકોને સતર્ક રહેવા અને આંદોલનમાં કોઈપણ પ્રકારની હિંસા ન થવા દેવા વિનંતી કરી હતી.આ ઘટનાક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વાંગચુકના ઝડપી સ્વાસ્થ્ય સુધારાની કામના કરી હતી અને તેમને ડૉક્ટરોની સલાહ મુજબ પોતાનું જૂનું વજન ઝડપથી પુનઃપ્રાપ્ત કરવા વિનંતી કરી હતી.



