મહુવા શહેરના ધાવડી ચોક ખાતે પી.એમ. સોપારી નામની હોલસેલ દુકાન ચલાવતા જુનેદશા મંશુરશા પઠાણ (ઉ.વ.૨૬) અને તેમના પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કરી ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ ગત તા. ૮ જુલાઈના રોજ મહુવાના હેન્ડલનગર ખારામાં રહેતા અસ્લમ ઉર્ફે દાતરડી અને આફતાબ કાળવાતરે ઇકો ગાડી જોવાના બહાને જુનેદશાને આઈ.ટી.આઈ. પાછળ બાવળની કાટમાં લઈ જઈ મફતમાં સોપારી આપવા દબાણ કરી મૂઢ માર માર્યો હતો. જોકે, ડરના કારણે યુવાને ત્યારે ફરિયાદ નોંધાવી ન હતી.ત્યારબાદ ૨૨ જુલાઈના રોજ બપોરે દોઢ વાગ્યે આરોપી અસ્લમ, આફતાબ અને તેનો ભાઈ સલમાન ઈકબાલભાઈ કાળવાતર ધાવડી ચોક ખાતેની દુકાને ધસી આવ્યા હતા. ત્યાં હાજર જુનેદશાના પિતા મંશુરશા અને ભાઈઓ પાસે મફતમાં સોપારી માંગી હતી. “ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે” તેમ કહી ભાઈ સોહીલભાઈને મૂઢ માર માર્યો હતો અને દુકાન તોડી નાખવાની ધમકી આપી હતી. આ ત્રાસથી કંટાળીને અંતે વેપારી પરિવારે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



