જમ્મુ- કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય સેનાના જવાનોનું અપહરણ કર્યું હતું. એક સૈનિક આતંકવાદીઓની ચુંગલમાંથી છટકી જવામાં સફળ રહ્યો અને પાછો આવી ગયો હતો. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2020માં આતંકવાદીઓએ કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મીના જવાન શાકિર મંજૂર વેજનું અપહરણ કર્યું હતું. આ ઘટનાના પાંચ દિવસ બાદ પરિવારને ઘર પાસે શાકીરના કપડા મળ્યા હતા. આ ઘટના 2જી ઓગસ્ટે બની હતી. ત્યારપછી 24 વર્ષીય શાકિર વેજ દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો. શાકિર દક્ષિણ કાશ્મીરના બાલાપુરમાં 162-TAમાં તહેનાત હતો. બકરી ઈદના દિવસે તે પોતાના ઘરે ગયો હતો. અપહરણની સાથે આતંકવાદીઓએ જવાનની કારને પણ સળગાવી દીધી હતી. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. શાકિરનું અપહરણ થયાના એક વર્ષ બાદ સપ્ટેમ્બર 2021માં કુલગામ જિલ્લામાંથી તેની લાશ મળી આવી હતી. તપાસ બાદ પોલીસે શાકીરના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેના પિતા મંજૂર અહેમદ વાગેએ કહ્યું હતું કે લાશની ઓળખ કર્યા પછી જાણવા મળ્યું કે તે તેનો પુત્ર શાકિર હતો.
5 દિવસ પહેલા કુપવાડામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા
જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધારમાં લાઈમ ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LOC) પર સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના અને પોલીસે બે આતંકીઓને ઠાર કર્યા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે કહ્યું કે 4 ઓક્ટોબરે સેના અને પોલીસે એક શંકાસ્પદ હલચલ જોઈ. આ પછી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.